ટ્વિટરે IT પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું બ્લોક, જાણો શું કારણ આપ્યું

ટ્વિટરે IT પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું બ્લોક, જાણો શું કારણ આપ્યું

નવી દિલ્હી, 25 જુન 2021 શુક્રવાર

સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈને કેન્દ્ર સરકાર સાથેની તકરાર વચ્ચે ટ્વિટર દ્વારા આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કરાયું છે. આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે ખુદ આ માહિતી આપી છે. પ્રસાદે કહ્યું કે છેલ્લા એક કલાકથી તેઓ તેમના એકાઉન્ટ પર એક્સેસ કરી શકતા નથી.

તેમણે કહ્યું કે એક્સેસ કરવાનો પ્રયાસ કરવા પર, જાણ કરવામાં આવી છે કે તેમના એકાઉન્ટએ અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. જો કે, એક કલાક પછી એકાઉન્ટ પુનસ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમનું એકાઉન્ટ બ્લોક કરવા અંગે ટેલિકોમ મિનિસ્ટર પ્રધાને કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીએ આઇટી નિયમોના નિયમ 4 (8) નું ઉલ્લંઘન કર્યું છે. 

તેમણે કહ્યું કે મારૂ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરતા પહેલા તેઓ કોઈ માહિતી આપવામાં નિષ્ફળ ગયા છે અને તે નિયમોનું ઉલ્લંઘન છે. રવિશંકર પ્રસાદે ખુદ એકાઉન્ટ બ્લોક થયું તે દરમિયાન અને ફરી એક્સેસ મળ્યા બાદનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. એકાઉન્ટ એક્સેસ થયા પછી પણ રવિશંકર પ્રસાદને ટ્વિટર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો ભવિષ્યમાં તેમના એકાઉન્ટ વિરુદ્ધ કોઈ વધુ નોટિસ મળશે તો તેમનું એકાઉન્ટ ફરીથી બ્લોક થઈ શકે છે અથવા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

ભારત સરકારના પ્રધાને અન્ય એક ટ્વિટમાં સ્પષ્ટ કર્યું છે કે તમામ પ્લેટફોર્મ્સે આઇટી કાયદાઓનું પાલન કરવું પડશે અને તેમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

Share: