ઘોડા છુટ્યા પછી તબેલે તાળા : અમદાવાદમાં હવે પછીની ટી-20 મેચો દર્શકો વિના જ રમાડાશે, GCAનો નિર્ણય

ઘોડા છુટ્યા પછી તબેલે તાળા : અમદાવાદમાં હવે પછીની ટી-20 મેચો દર્શકો વિના જ રમાડાશે, GCAનો નિર્ણય

અમદાવાદ, તા. 15 માર્ચ 2021, સોમવાર

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગુજરાત અને અમદાવાદમાં પણ આ જ સ્થિતિ છે. અમદાવાદમાં પણ કોરોને ફરી વખત વેગ પકડ્યો છે. જેને ધ્યાને રાખીને ફરીથી વિવિધ પ્રતિબંધો લગાવવાની શરુઆત થઇ છે. એક તરફ સામાન્ય જનતા પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય કોરોના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો દર્શકોની બેફામ ભીડ એકઠી કરવામાં આવે છે. તંત્રની આ બેવડી નીતિ સામે લોકોમાં રોષ હતો. 

ત્યારે હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇન્ગલેન્ડ વચ્ચેની ટી-20 સિરિઝની જે મેચ બાકી છે, તે હવે દર્શકો વગર જ રમાડાશે. હવે આ સિરિઝની ત્રણ મેચો બાકી છે, જેમાંથી એક મેચ તો આવતીકાલે જ છે. બાકીની બે મેચ 18 અને 20 તારીખે રમાશે. આ ત્રણે મેચ હવે દર્શકો વગર જ રમાશે.

જે લોકોએ આ મેચોની ટિકિટ ખરીદી છે તેને રિફન્ડ આપવામાં આવશે. જો કે જીસે દ્વારા આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા જીસીએ દ્વારા 50 ટકા ક્ષમતા સાથે દર્શકોને મેચ જોવાની પરવાનગી પી હતી. ત્યારે હવે તેમને મોડે મોડે પમ આત્મજ્ઞાન થયું છે અને દર્શકો વગર મેચ રમાડવાનો નિર્ણય કર્યો છે. 

આ નિર્ણયના થોડા કલાક પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 8 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ ખાણીપીણી માર્કેટ, દુકાનો, હોટેલો અને અન્ય ધંધાદારી એકમો પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના થોડા જ સમય બાદ મેચને લઇને આ નિર્ણય કરાયો છે.

Share: