ગુજરાત હવે તૌકતે વાવાઝોડાના ખતરાથી બહાર, કોરોનાના દર્દીઓને કોઈ નુકસાન થયુ નથીઃ NDRFના ડીજી

ગુજરાત હવે તૌકતે વાવાઝોડાના ખતરાથી બહાર, કોરોનાના દર્દીઓને કોઈ નુકસાન થયુ નથીઃ NDRFના ડીજી

નવી દિલ્હી,તા.18 મે 2021,મંગળવાર

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે.

ગુજરાતમાં વાવાઝોડાનો સામનો કરવા માટે તૈનાત કરાયેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાનનુ કહેવુ છે કે, હવે ગુજરાત વાવાઝોડોના ખતરાની બહાર છે અને પવનની ઝડપ પણ ગઈકાલની સરખામણીમાં ઓછી થઈ છે. સાંજ સુધીમાં આ વાવાઝોડુ ડિપ્રેશનમાં ફરેવાઈ જશે.રાજસ્થાનમાં તેના કારણે થોડો વરસાદ થશે પણ સ્થિતિ એટલી ભયજનક નહીં હોય. હવે પરિસ્થિતિ કાબૂમાં છે.

તેમણે કહ્યુ હતુ કે, વાવાઝોડા દરમિયાન બહુ જરુરી હતુ કે, ઓક્સિજન, જરુરી દવાઓના સપ્લાયમાં કોઈ વિઘ્ન ના સર્જાય. તોફાન અને કોવિડની એમ બંને પ્રકારની સ્થિતિને મેનેજ કરવાની હતી, સારી વાત છે કે, કોરોનાના દર્દીઓને વાવાઝોડાના કારણે કોઈ નુકાસન થયુ નથી.

દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે વાવાઝોડાને લઈને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના ચીફ મિનિસ્ટર તેમજ દાદરા નગર હવેલીના પ્રશાસક સાથે વાત કરી હતી. વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ મેળવ્યો હતો અને રાજ્યોને તમામ પ્રકારની મદદ કરવાનુ આશ્વાસન પણ આપ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહોંચતા પહેલા વાવાઝોડાએ કેરાલા, કર્ણાટક અને ગોવામાં ખાસુ નુકસાન કર્યુ હતુ. મહારાષ્ટ્રના મુંબઈમાં તો કેટલીક જગ્યાએ 200 એમએમ જેટલો વરસાદ પડતા છેલ્લા 21 વર્ષનો રેકોર્ડ તુટયો હતો. હજી પણ કેટલીક જગ્યાએ કેટલીક સેવાઓ ખોરવાયેલી છે.

સોમવારની રાતે વાવાઝોડુ 185 કિલોમીટરની ઝડપે ગુજરાત સાથે ટકરાયુ હતુ.ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં વાવાઝોડાના કારણે ખાસુ નુકસાન થયુ છે

Share: