ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : એક દિવસમાં રેકોર્ડબ્રેક 4541 નવા કેસ, 42 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : એક દિવસમાં રેકોર્ડબ્રેક 4541 નવા કેસ, 42 લોકોના મોત

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર

ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોના વધારે ઘાતકી અને ભયાનક થઇ રહ્યો છે. અત્યારે રાજ્યના મહાનગરોની હાલત સૌથી વધારે કફોડી છે. ત્યારે આજે પણ કોરોના વાયરસના 4500 કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે. 

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે. આજનો મૃત્યુઆંક કોરોના મહામારી શરુ થઇ ત્યારથી સૌથ વધારે છે. આ આંકડાઓ તો સરકારી છે, ત્યારે વાસ્તવિકતા કેટલી ભયાનક હશે તેનો અંદાજ જ લગાવવો રહ્યો. કારણ કે તમામ લોકો જાણે છે કે સરકાર સાચા આંકડાઓ જાહેર કરતા નથી.

જ્યારે છેલ્લાં 24 કલાકમાં 2280 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. જેની સાથે જ અત્યાર સુધી 3,09,626 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યારે રિકવરી રેટ દર 91.87 ટકાએ પહોંચ્યો છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રિકવરી રટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અમદાવાદમાં આજે કોરોના કેસનો આંકડો 1000ને પાર કરી ચુકયો છે. તો સુરતમાં 891 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4697 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 42 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 એમ આજ રોજ નવા 42 લોકોનાં મોત નિપજ્યાં છે.

Share: