ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર : આજે નવા કેસનો આંકડો 7000ને પાર, 73 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર : આજે નવા કેસનો આંકડો 7000ને પાર, 73 લોકોના મોત

અમદાવાદ, તા. 14 એપ્રિલ 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના કેસનો આંક 7000ને પાર પહોંચ્યો છે. દિવસે દિવસે કોરોનાને કારણે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. હોસ્પિટલો ફુલ છે, ઓક્સિજન નથી, વેન્ટિલેટર નથી, ડોક્ટરોની અછત છે, દવા નથી. બીજી તરફ રાજ્યમા કોરોનાના નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. સ્મશાનમાં પણ લાંબી લાઇનો લાગી છે. 

ત્યારે છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના રેકોર્ડબ્પેક 7410 કેસ નોંધાયા છે. તો આજના દિવસે મૃત્યુઆંકે પણ રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમા કોરોનાના કારણે 73 લોકોના મોત થયા છે. ખાસ કરીને રાજ્યના મહાગરોની હાલત કફોડી બની છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 

આજે અમદાવાદમાં 2526, સુરતમાં 1655, રાજકોટમાં 653 અને વડોદરામાં 452 કેસો નોંધાતા તંત્ર અને તબીબો પણ ચિંતામાં મૂકાયા છે. મોતની વાત કરીએ તો કોરોનાના કારણે આજે અમદાવાદમાં 24, સુરતમાં 24, રાજકોટમાં 7 અને વડોદરામાં 6 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 4995 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2642 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 23 હજાર 371 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 39 હજાર 250 એ પહોંચી છે. જ્યારે 254 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 38 હજાર 996 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

Share: