કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ એકના બદલે આટલા મહિને અપાશે, જાણો કેમ લંબાવાયો સમય

કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ એકના બદલે આટલા મહિને અપાશે, જાણો કેમ લંબાવાયો સમય

નવી દિલ્હી, તા. 22 માર્ચ 2021, સોમવાર

કોરોના વાયરસ સામેની લડાઇના ભાગરુપે દેશભરમાં યુદ્ધના ધોરણે વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારને મહત્વનો નિર્દેશ કર્યો છે. કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે અંતર વધારવાનું કહ્યું છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું કે કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 6થી 8 અઠવાડિયાનું અંતર રાખવામાં આવે. આ પહેલા કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપ્યાના 4થી 6 અઠવાડિયાની અંદર બીજો ડોઝ આપવામાં આવતો હતો. જે સમયગાળાને હવે વધારવામાં આવ્યો છે. ત્યારે જે એક મહિનાનું અંતર છે તેને હવે બે મહિના જેટલું કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે NTAGI અને વેક્સિનેશન એક્સપર્ટ ગૃપની રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તેવનો અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. રિપોર્ટની અંદર દાવો કરવામાં આવ્યો છે કે કોવિશીલ્ડ વેક્સિનની બંને ડોઝ વચ્ચે જો 6થી 8 અઠવાડિયાનો અંતરાલ હશે તો તે વધારે લાભદાયી બનશે.

બંને ડોઝ વચ્ચેના સમય અંગેનો આ નિર્ણય અત્યારે માત્ર કોવિશીલ્ડ કરોના વેક્સિન માટે છે, અન્ય કોરોના વેક્સિનને તે લાગુ નહીં થાય. ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવે છે. આ વેક્સિન ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરાવામાં આવી છે.

Share: