કોરોના વેક્સીન લીધા બાદ માત્ર 0.06 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુઃ સ્ટડીમાં ખુલાસો

કોરોના વેક્સીન લીધા બાદ માત્ર 0.06 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુઃ સ્ટડીમાં ખુલાસો

નવી દિલ્હી,તા.16.મે.2021

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં રોજ નવા લાખો દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે ત્યારે વધુ એક સર્વેમાં એ વાત સાચી પડી છે કે કોરોનાની વેક્સીન જ કોરોનાથી બચવા માટેનો એક અસરકાર વિકલ્પ છે.

નિષ્ણાતો પણ પહેલેથી જ કહી રહ્યા છે કે, કોરોનાના પ્રસારને રોકવા માટે વેક્સીનેશન જરુરી છે અને લેટેસ્ટ સ્ટડીમાં ખુલાસો થયો છે કે, વેક્સીન મુકાવનારા 97.38 ટકા લોકો કોરોના સંક્રમણથી સુરક્ષિત રહ્યા છે તથા જે લોકો સંક્રમિત પણ થયા છે તેમાંથી માત્ર 0.06 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી છે.

દેશના એક જાણીતા હોસ્પિટલ ગ્રૂપે આ સ્ટડીના તારણો જાહેર કર્યા છે.જેમાં કહેવાયુ છે કે, કોરોનાની રસી મુકાવનારા લોકોમાં સંક્રમણની શક્યતા સાવ ઓછી થઈ જાય છે.જે લોકોને આઈસીયુમાં ભરતી થવુ પણ પડે છે તેમને જીવ ગુમાવવાની કે આઈસીયુમાં સારવાર માટે દાખલ થવાની નોબત નથી આવતી.આ સ્ટડી અંગે હોસ્પિટલ દ્વારા ન્યૂઝ એજન્સીને અપાયેલી જાણકારી પ્રમાણે 3235 હેલ્થ વર્કર પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો.જેમાં ખબર પડી હતી કે, આ પૈકીના માત્ર 85 વર્કર  જ સંક્રમિત થયા હતા.સંક્રમિત થયેલામાંથી 65ને વેક્સીનની બે ડોઝ અને 20ને વેક્સીનનો એક ડોઝ અપાયો હતો.

આ સ્ટડીમાં એવુ પણ જાણવા મળ્યુ હતુ કે, સંક્રમણને વધારે કે ઓછી વયના લોકો સાથે કોઈ સબંધ જોવા મળ્યો નથી.વાયરસની મહિલાઓ પર વધારે અસર થઈ છે તેવુ પણ તારણ નિકળ્યું છે.

Share: