કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્લસમાં ફેરવાયો, જાણો વાયરસના નવા પ્રકારથી કેટલું જોખમ છે તેના વિશે

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્લસમાં ફેરવાયો, જાણો વાયરસના નવા પ્રકારથી કેટલું જોખમ છે તેના વિશે


– ભારતમાં 7 જૂન સુધીમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 6 કેસ સામે આવી ચુક્યા હતા

નવી દિલ્હી, તા. 15 જૂન, 2021, મંગળવાર

સમયાંતરે કોરોના વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે જેથી વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સને ખૂબ મુશ્કેલી પડી રહી છે. કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરે જે રીતે તબાહી મચાવી છે ત્યારે તાજેતરના એક સમાચારે બધાને ચિંતિત કરી દીધા છે. એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં દેશમાં તબાહી મચાવનારો ડેલ્ટા વેરિએન્ટ જે બી1.617.2 નામથી પણ ઓળખાય છે તે પહેલા કરતા પણ વધારે ખતરનાક વેરિએન્ટમાં બદલાઈ ચુક્યો છે. 

બદલાયેલા આ વેરિએન્ટને ડેલ્ટા પ્લસ કે પછી એવાઈ.1 કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે, આ વેરિએન્ટ પર કોરોનાના દર્દીઓને આપવામાં આવતી મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલની પણ કોઈ અસર નથી થતી. 

મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલ શું છે

મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલ એક દવા છે જે કોરોનાની સારવારમાં વપરાય છે. જ્યારે દર્દીની સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફાર્મા કંપની સિપ્લા અને રોશ ઈન્ડિયા સાથે મળીને આ દવા બનાવે છે. ભારતમાં મે મહિનામાં તેને કોરોના સારવાર દરમિયાન ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી.

7 જૂન સુધીમાં 6 કેસ સામે આવ્યા

બ્રિટનની સ્વાસ્થ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટના 63 જીનોમ નવા K417N મ્યુટેશન સાથે સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં 7 જૂન સુધીમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 6 કેસ સામે આવી ચુક્યા હતા. 

Share: