કોરોનાને હાલ ન અટકાવ્યો તો ફરી પુરા દેશમાં ફેલાશે : મોદીની ચેતવણી

કોરોનાને હાલ ન અટકાવ્યો તો ફરી પુરા દેશમાં ફેલાશે : મોદીની ચેતવણી


– મુખ્ય પ્રધાનોની સાથે વડાપ્રધાનની ઓનલાઇન બેઠક યોજાઇ

– દેશ પર કોરોનાની બીજી લહેરનો ખતરો, 70 જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ, મહારાષ્ટ્ર અને પંજાબ મોખરે 

નવી દિલ્હી, તા. ૧૭

મોટા ભાગના રાજ્યોમાં હાલ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે બેઠક યોજી હતી. મોદીએ કેસો વધતા ચિંતા વ્યક્ત કરી હતી. અને સાથે લોકોને અપીલ કરી હતી કે કોરોનાની બીજી લહેરને અટકાવવા માટે દરેકે વધુ સતર્ક રહેવાની જરુર છે. આ સલાહ મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ આપી હતી.

મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે ઓનલાઇન બેઠક યોજી દેશમા ંહાલમાં કોરોનાની જે સ્થિતિ છે તેની ચર્ચા કરી હતી. જે દરમિયાન મોદીએ કહ્યું હતું કે પંજાબ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. 

બીજી તરફ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ પણ ઉછળ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ૭૦ જિલ્લામાં કોરોનાના કેસોનો પોઝિટિવ રેટ ૧૫૦ ટકાથી પણ વધુ રહ્યો છે. જો આપણે અહીં ન અટક્યા તો પછી કોરોના દેશ વ્યાપી ફેલાઇ શકે છે. 

મોદીએ મુખ્ય પ્રધાનોને સલાહ આપી હતી કે ફરી કોરોનાના ટેસ્ટમાં ઝડપથી વધારો કરવાની જરુર છે. જેટલા ઝડપથી ટેસ્ટ કરાશે તેટલા ઝડપથી કેસો સામે આવશે અને આમ કરવાથી કોરોનાને ફરી ફેલાતો અટકાવી શકાશે. 

મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે કેટલાક શહેરો કે જ્યાં અગાઉ કોરોના નહોતો અને તેને સેફ ઝોન જાહેર કરાયા હતા ત્યાં પણ નવા કેસો સામે આવવા લાગ્યા છે. રાજ્યોને મોદીએ અપીલ કરી છે કે નાના શહેરો છે ત્યાં પણ એમ્બ્યૂલંસની સુવિધા ઉપલબ્ધ રહે તેની તકેદારી રાખવામાં આવે. આ ઇન્ટરેક્શન વખતે ગૃહ પ્રધાન અમિત શાહે કેટલાક એવા જિલ્લાઓની યાદી જાહેર કરી હતી કે જ્યાં વધુ તકેદારીની જરુર છે. કેટલાક મુખ્ય પ્રધાનો જેમ કે પશ્ચિમ બંગાળના મમતા બેનરજી, છત્તીસગઢના ભુપેષ બઘેલ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વડા પ્રધાન સાથેની ઓનલાઇન બેઠકમાં હાજર નહોતા રહ્યા.

Share: