કોરોનાની સ્થિતિ પર વડાપ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક, કહ્યું – ગામડાઓ સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરો

કોરોનાની સ્થિતિ પર વડાપ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક, કહ્યું – ગામડાઓ સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરો

ઘરે ઘરે જઇને ટેસ્ટ કરવામાં આવે, દરેક રાજય સરકાર કોરોનાના સાચા આંક જાહેર કરે : મોદી

નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર

દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હાઇલેવલ બેઠક કરી હતી. જેમાં તેમણે દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઘરે ઘરે જઇને કોરોના ટેસ્ટ કરવાની વાત કરી છે. વડાપ્રધાને કહેયું કે ગામડાઓમાં સ્વાસ્થ્ય સુવિધા વધારવામાં આવે અને આશા કાર્યકર્તાઓ સાથે મળીને કોરોના સામેની લડાઇને ઝડપી બનાવવામાં આવે. 

વડાપ્રધાને કહ્યું કે ગામડાઓ સુધી ઓક્સિજન સપ્લાઇ પહોંચાડવાની સુવિધા કરવામાં આવે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યા છે કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો વધારે છે, ત્યાં કોરોના ટેસ્ટ વધારવાની જરુર છે. અયારે સમયની માંગ છે કે સ્થાનિક સ્તર પર કોરોના સામેની રણનીતિ અપનાવવામાં આવે.

આ બેઠકની અંદર તેમણે કહ્યું કે વેન્ટિલેટર અને અન્ય જરુરી સાધનોના વપરાશ માટે સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રશિક્ષણ આપવામાં આવે. માર્ચની શરુઆતમાં દરેક અઠવાડિયે લગભગ 50 લાખ સેમ્પલના ટેસ્ટ થતા હતા. જ્યારે અત્યારે દર અછવાડિયે લગભગ 1.3 કરોડ સેમ્પલના ટેસ્ટિંગ થઇ રહ્યા છે. કોરોના કેસમાં વધારા છતા દરેક રાજ્યોને પારદર્શી રીતે કોરોના કેસ સામે લાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.

આ બેઠકમાં અલગ અલગ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી અને આઇસીએમઆરના અધિકારીઓ પણ સામેલ થયા હતા. કોરોના વાયરસની બીજી લહેરે હવે ગામડાઓમાં પણ કહેર વર્તાવ્યો છે. દેશભરના ગામડાઓમાં કોરોનાની ભયાવહ સ્થિતિના સમાચાર આવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાનની બેઠકમાં ગામડાઓમાં કોરોનાનો ફેલાવો મુખ્ય મુદ્દો હતો.

Share: