કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હશે તેવા કોઈ પૂરાવા નથીઃ ડો.ગુલેરિયા

કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હશે તેવા કોઈ પૂરાવા નથીઃ ડો.ગુલેરિયા

નવી દિલ્હી,તા.9 જૂન 2021,બુધવાર

દેશમાં લાખો લોકોના જીવ લેનાર કોરોનાની બીજી લહેરનુ જોર ભલે ઓછુ થઈ ગયુ હોય પણ હવે ત્રીજી લહેરની આશંકાના કારણે લોકોમાં ગભરાટ છે. નિષ્ણાતો ત્રીજી લહેરી આવી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી ચુક્યા છે.

કેટલાકે તો એવો દાવો કર્યો હતો કે, આ લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ આ બાબતે એક રાહતના સમાચાર આપ્યા છે. તેમનુ કહેવુ છે કે, હજી સુધી એવા કોઈ પૂરાવા મળ્યા નથી. કે જેને જોઈને કહી શકાય કે ત્રીજી લહેર બાળકો માટે ભયજનક સાબિત થશે.બાળકો પર તેની અસર થશે તેવા કોઈ પૂરાવા હજી સુધી સામે આવ્યા નથી. કોરોના પર દુનિયાભરમાં થઈ રહેલા સર્વે અને રિસર્ચને જોવામાં આવે તો તેમાં પણ આવી કોઈ વાત સામે આવી નથી.

તેમણે કહ્યુ હતુ કે, ત્રીજી લહેર ક્યારે આવશે અને બાળકો પર તેની કેવી અસર થશે તેનો કોઈ ડેટા સામે આવ્યો નથી. આ માટેનો કોઈ પૂરાવો કોઈની પાસે નથી. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જે બાળકો કોરોનાથી સંક્રમિત થયા તેમાંથી મોટાભાગમાં તેના હળવા લક્ષણો હતા. આ ટ્રેન્ડને જોતા એવુ કહેવુ યોગ્ય નથી કે, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની છે.

કોરોનાની વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાનુ જોર ઘટી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 92000 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 2219 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સામે 1.62 લાખ લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા છે.

Share: