કોરોનાના નવા 3.26 લાખ કેસ આવ્યા સામે, 3883 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોનાના નવા 3.26 લાખ કેસ આવ્યા સામે, 3883 લોકોએ ગુમાવ્યો જીવ


– દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 31 કરોડથી પણ વધારે નમૂનાની તપાસ કરવામાં આવી

નવી દિલ્હી, તા. 15 મે, 2021, શનિવાર

વિવિધ રાજ્યમાંથી એકત્રિત કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ 3,26,332 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 3,883 લોકોના મોત થયા હતા. ગુરૂવારે દેશમાં કુલ 3,43,122 કેસ સામે આવ્યા હતા અને 3,994 દર્દીઓના મોત થયા હતા.

જો કે, છેલ્લા 7 દિવસના આંકડાઓ દૈનિક કેસમાં ઘટાડો દર્શાવી રહ્યા છે. શનિવારે 3.91 લાખ કેસ નોંધાયા હતા જ્યારે ગુરૂવારે 3.43 લાખ કેસ નોંધાયા હતા. પરંતુ દૈનિક મૃતકઆંક હજુ ઉંચો જ છે. છેલ્લા 7 દિવસની સરેરાશ દૈનિક આશરે 4,000 મૃત્યુની છે.

31 કરોડથી વધારે નમૂનાની તપાસ 

દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 31 કરોડથી પણ વધારે નમૂનાની તપાસ કરવામાં આવી છે અને કુલ સંક્રમણ દર થોડો વધીને 7.72 ટકા થઈ ગયો છે. જો કે, દૈનિક સંક્રમણ દરમાં થોડો ઘટાડો થયો છે અને તે 20.08 ટકા થઈ ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં હાલ 37,04,893 દર્દીઓ સારવાર હેઠળ છે જે દેશના કુલ કેસના 15.41 ટકા છે. હાલ રાષ્ટ્રીય મૃત્યુ દર 1.09 ટકા છે. કોવિડથી નોંધાતા નવા મૃતકઆંકમાં 10 રાજ્યોની ભાગીદારી 72.70 ટકા જેટલી છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સિનના આશરે 18 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં 39,923 નવા કેસ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન 39,923 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળામાં 53,249 દર્દીઓ સાજા થઈ ગયા છે અને 695 મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 53,09,215 થઈ ગઈ છે. તે પૈકીના 47,07,980 લોકો સાજા થઈ ગયા છે. સક્રિય કેસની સંખ્યા 5,19,254 છે અને અત્યાર સુધીમાં કુલ 79,552 લોકોના મોત થયા છે. 

Share: