કોરોનાથી હાહાકાર, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 898ના મોત, 54022 લોકો પોઝિટિવ, દિલ્હી પણ બેહાલ

કોરોનાથી હાહાકાર, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 898ના મોત, 54022 લોકો પોઝિટિવ, દિલ્હી પણ બેહાલ


– કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઓડિશામાં સંક્રમણનો દર સતત વધી રહ્યો છે

નવી દિલ્હી, તા. 8 મે, 2021, શનિવાર

આખા દેશમાં કોરોનાના કારણે ભારે હાહાકાર વ્યાપ્યો છે. હાલ દેશના 12 રાજ્યોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખ કરતા પણ વધારે છે. જ્યારે 7 રાજ્યોમાં આ સંખ્યા 50,000થી 1 લાખની વચ્ચે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપેલા નિવેદન પ્રમાણે દેશના 24 રાજ્યોમાં હાલ 15 ટકાથી વધારે સંક્રમણ દર છે અને 9 રાજ્યોમાં આ દર 5થી 15 ટકાની વચ્ચે છે. 

મહારાષ્ટ્ર્, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં કોવિડ-19ના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જ્યારે કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઓડિશામાં સંક્રમણનો દર સતત વધી રહ્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને જણાવ્યું કે, જે લાભાર્થીઓ કોવિડ-19 વેક્સિનના બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે તેમને પ્રાથમિકતા આપવી જોઈએ અને વેક્સિનેશનનો કાર્યક્રમ સમય પર પૂરો થવો જોઈએ. 

દિલ્હીમાં આશરે 20,000 કેસ

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 20,000 જેટલા કેસ સામે આવ્યા હતા અને આશરે 350 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સામે 19,000થી પણ વધારે લોકો સાજા પણ થયા છે. દિલ્હીમાં સંક્રમણ દર 24.92 ટકા છે એક્ટિવ દર્દીઓની સંખ્યા 91,035 જેટલી છે. 

મહારાષ્ટ્રમાં 54,022 નવા કેસ

દેશમાં કોરોના સંક્રમણથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54,022 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળામાં 37,386 કોરોના સંક્રમિતો સાજા થયા હતા અને 898 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં સક્રિય કેસની સંખ્યા 6,54,788 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 74,413 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Share: