કોરોનાઃ મૃતકઆંકમાં ફરીથી વધારો, છેલ્લા 24 કલાકમાં 955 દર્દીઓએ ગુમાવ્યો જીવ

કોરોનાઃ મૃતકઆંકમાં ફરીથી વધારો, છેલ્લા 24 કલાકમાં 955 દર્દીઓએ ગુમાવ્યો જીવ


– દેશમાં રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19ના દર્દીઓનો રિકવરી રેટ 97.09 ટકાએ પહોંચી ગયો 

નવી દિલ્હી, તા. 04 જુલાઈ, 2021, રવિવાર

ભારતમાં કોરોના સંક્રમણના દૈનિક કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ મૃતકઆંકમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 43,000 કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે જ્યારે 955 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસની તુલનાએ કોરોનામાંથી સાજા થનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19ના દર્દીઓનો રિકવરી રેટ 97.09 ટકાએ પહોંચી ગયો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,071 કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 52,299 દર્દીઓ રિકવર થયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 955 કોવિડ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ફરીથી વધારો થઈ રહ્યો છે. હકીકતે સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે શનિવારે 738 દર્દીઓના મોત નોંધાયા હતા જ્યારે શુક્રવારે 853 દર્દીઓએ દમ તોડ્યો હતો. દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 85 હજાર જેટલી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 4 જુલાઈ, 2021ના રોજ સવારના સમયે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,071 કેસ નોંધાયા અને 52,299 દર્દીઓ સાજા થયા. જ્યારે 955 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3,05,45,433 છે અને અત્યાર સુધીમાં 2,96,58,078 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાનો કુલ મૃતકઆંક 4,02,005 છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4,85,350 છે. 

Share: