કફોડી સ્થિતિ : સુરત સિવિલમાં તંત્રએ વેન્ટીલેટરના દર્દીને દાખલ કરવાનું બંધ કર્યું

કફોડી સ્થિતિ : સુરત સિવિલમાં તંત્રએ વેન્ટીલેટરના દર્દીને દાખલ કરવાનું બંધ કર્યું


– કોરોનાના અન્ય દર્દીને સારવાર આપશે : સામન્ય ઓપીડી પણ બંધ રહેશે.

સુરત, તા. 26 એપ્રિલ 2021, સોમવાર

સુરતમાં એક તરફ ઓક્સિજનની અછતની બૂમ પડી રહી છે ત્યારે બીજી તરફ આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વેન્ટીલેટર પર રહેલા દર્દીને દાખલ કરવાનું બંધ કરાતા હડકંપ મચી ગયો છે.

સુરત સિવિલની વર્તમાન પરિસ્થિને ધ્યાનમાં રાખીને આજે મીટિંગ મળી હતી જેમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે હોસ્પિટલમાં વેન્ટીલેટર ધરાવતા બેડ પેક હોવાથી નવા દર્દીને દાખલ કરવામાં નહીં આવે. કોઇ વેન્ટીલેટર બેડ ખાલી થશે તો એડમિશન આપશે. જોકે, કોરોનાના અન્ય દર્દીને સારવાર આપશે પરંતુ સામન્ય ઓપીડી પણ બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે આજે સવારે મીડિયમાં અહેવાલ વહેતા થયા હતા કે સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાતા હોબાળો મચી ગયો હતો. ગંભીર પ્રકારના દર્દી આવતા હતા તેને હાલમાં સારવાર માટે દાખલ નહીં થાય તેવું કહી દેવાયું હતું.

સુરત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં હાલ ગંભીર દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી જેને કારણે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ધસારો થઈ રહ્યો છે. પરંતુ આજે અચાનક જ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દેતા દર્દીના સગાની હાલત કફોડી થઈ રહી છે.

ગંભીર દર્દીઓના સગાઓ દરદીને લઇને ચિંતામાં જોવા મળી રહ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓની બેઠક થઈ રહી છે આ બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલ સુરતની ખાનગી હોસ્પિટલોમાં 6 થી 7 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન નો જથ્થો છે. જો આ દરમ્યાન વ્યવસ્થા નહિ થઈ શકે તો 4000 દર્દીઓના જીવ ને જોખમ હોવાથી મુખ્યમંત્રી ઓક્સિજનની વ્યવસ્થા કરોની ડોક્ટરોએ કાકલૂદી કરી હતી.

Share: