ઉત્તરાખંડમાં મોટા રાજકીય પરિવર્તનની આશંકા, તિરથસિંહ રાવતે રાજીનામું આપવાની કરી ઓફર

ઉત્તરાખંડમાં મોટા રાજકીય પરિવર્તનની આશંકા, તિરથસિંહ રાવતે રાજીનામું આપવાની કરી ઓફર

નવી દિલ્હી, 2 જુલાઇ 2021 શુક્રવાર

ઉત્તરાખંડ સરકારમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. આ વર્ષે 10 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેનારા તિરથસિંહ રાવતે રાજીનામું આપવાની ઓફર કરી છે. ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો તેમનું રાજીનામું સ્વીકારવામાં આવે તો ઉત્તરાખંડને ફરીથી નવો સીએમ મળશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત, જે ત્રણ દિવસથી દિલ્હીમાં છે, તેમણે છેલ્લા 24 કલાકની અંદર બીજી વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં પ્રમુખ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, આ તબક્કે હવે રાજ્યમાં ફરી એકવખત નેતૃત્વ પરિવર્તનની અટકળો શરૂ થઇ ગઇ છે, નડ્ડાના દિલ્હી નિવાસસ્થાને મુખ્યમંત્રી સાથેની લગભગ અડધા કલાકની બેઠક એવા સમયે યોજાઇ છે જ્યારે રાવતના ભવિષ્ય વિશે ઘણી અટકળો ચાલી રહી છે.

સમાચાર આવી રહ્યા છે કે તિરથ સિંહ રાવતે તાજેતરની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. જોકે તેમનું રાજીનામું સ્વીકારાયું છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે અને રાવત માટે 10 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાવું તે બંધારણીય જવાબદારી છે કે જેથી તેઓ તેમના પદ પર ચાલુ રહે. પૌરીનાં લોકસભાના સાંસદ રાવતે આ વર્ષે 10 માર્ચે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું.

Share: