ઉત્તરાખંડમાં ભીષણ પૂર બાદ ટનલમાં ફસાયેલા 25ને બચાવાયા, હજુ 150થી વધુ લોકો લાપતા

ઉત્તરાખંડમાં ભીષણ પૂર બાદ ટનલમાં ફસાયેલા 25ને બચાવાયા, હજુ 150થી વધુ લોકો લાપતા

મૃતકોના પરિવારને વડાપ્રધાને 2-2 લાખ, મુખ્યમંત્રીએ 4-4 લાખ સહાય જાહેર કરી


રાહતકાર્ય માટે દિલ્હીથી એનડીઆરએફના 200 જવાનો અને હવાઈદળના બે વિમાન તૈનાત


ધૌળી ગંગા નદીમાં જળસ્તર વિક્રમી 1385.54 મીટરના સ્તરે, અગાઉ ઉત્તરાખંડ પ્રલય સમયે 1375 મીટર હતું


– ધૌળીગંગા, ઋષિગંગા અને અલકનંદા નદીઓમાં પૂરથી પર્વતીય વિસ્તારોમાં ભારે તારાજી:  ઉ.પ્રદેશમાં પણ એલર્ટ
– ઉત્તરાખંડમાં નિર્માણાધીન તપોવન-વિષ્ણુગઢ, ઋષિગંગા પાવર પ્રોજેક્ટનો નાશ

(પીટીઆઈ) દહેરાદૂન, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર

ઉત્તરાખંડના ચમોલિ જિલ્લાની ઋષિગંગા ખીણમાં રવિવારે નંદા દેવી હિમખંડનો એક ભાગ તૂટી પડતાં હિમપ્રપાત આવ્યું હતું અને ધૌળી ગંગા અને અલકનંદા નદીમાં આવેલા પૂર પર સવાર થઈ આવેલા મોતે લગભગ એક કલાક સુધી રૈણી અને તપોવન વચ્ચે ભારે વિનાશ સર્જ્યો હતો.

આ આપત્તિમાં 10થી વધુનાં મોત નીપજ્યાં છે, એક ટનલમાં ફસાયેલા 25 લોકોને બચાવી લેવાયા છે જ્યારે 150થી વધુ લોકો હજુ પણ લાપતા છે અને તેમના મોત નીપજ્યાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

આ દુર્ઘટનાને પગલે રાજ્યના બે પાવર પ્રોજેક્ટને ભારે નુકશાન થયું હતું. આ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2-2 લાખ તથા ગંભીર ઈજાગ્રસ્તોને રૂ. 50-50 હજાર તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે 4-4 લાખના વળતર સાથે કુલ રૂ. 6 લાખના વળતરની જાહેરાત કરી હતી.

ધૌળી ગંગા, ઋષિ ગંગા અને અલકનંદા નદીઓમાં અચાનક આવેલા પૂરના કારણે ઊંચાણવાળા પર્વતીય વિસ્તારમાં વ્યાપક સ્તરે વિનાશ વેર્યો હતો અને આ વિસ્તારમાં નિર્માણ હેઠળના બે પાવર પ્રોજેક્ટ્સ, તપોવન-વિષ્ણુગઢ હાઈડલ પ્રોજેક્ટ તથા ઋષિ ગંગા હાઈડલ પ્રોજેક્ટને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટના પછી તપોવન પ્રોજેક્ટની એક ટનલમાં ફસાયેલા 16 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ 150થી વધુ લોકો હજુ પણ લાપતા છે. 

આ દુર્ઘટનાના કારણે અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો. પૂરના પ્રવાહના કારણે ખીણ વિસ્તારની આજુબાજુના અનેક મકાનો તણાઈ ગયા હતા. જોશીમઠમાં હિમપ્રપાતના કારણે પૂર આવતાં ધૌળી ગંગા નદીના જળસ્તરે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડયા હતા. જોશીમઠમાં પૂરના કારણે ધૌળી ગંગા નદીમાં રવિવારે સવારે જળસ્તર 1,388 મીટર હતું. 

જે અત્યાર સુધીનું સૌથી ઊંચું જળસ્તર છે. અગાઉ 2013માં ઉત્તરાખંડમાં આવેલા પૂરના સમયે ધૌળી નદીમાં જળસ્તર 1,385.54 મીટરે પહોંચ્યું હતું. જોકે, દુર્ઘટનાના ક્લાકો પછી સાંજના સમયે અહીં જળસ્તર ઘટીને 1375 મીટર થઈ ગયું હતું.   

અલકનંદા અને સહાયક નદીઓમાં આવેલા પૂરનું પાણીની સાથે કીચડ અને કાટમાળ રૈણી ગામ અને તપોવન વચ્ચે બની રહેલા એનટીપીસીના પાવર પ્રોજેક્ટમાં ઘૂસી આવ્યા હતા અને પાવર પ્રોજેક્ટનો વિનાશ કરી નાંખ્યો હતો.

દુર્ઘટના પછી આઈટીબીપી અને એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમોએ રાહત કાર્ય હાથ ધર્યું હતું. ગૃહમંત્રાલયે દિલ્હીથી પણ એનડીઆરએફની 200 જવાનોની ટીમ દેહરાદુન રવાના કરી હતી. આઈટીબીપી અને એસડીઆરએફના જવાનોએ પાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 16 મજૂરોને બચાવી લીધા હતા. 

જોકે, દુર્ગમ વિસ્તારોમાં રાહત કાર્ય મુશ્કેલ બન્યું હોવાથી આ લોકોનાં મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અહીં રાહત કાર્ય માટે હવાઈ દળે તેના બે સી130જે સુપર હર્ક્યુલસ વિમાન પણ તેનાત કર્યા છે. આ દુર્ઘટનાને કારણે પૌરી, ટેહરી, રૂદ્રપ્રયાગ, હરીદ્વાર અને દેહરાદુન સહિત કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાઈ હતી.

કલાકો સુધી મોતનું તાંડવ ખેલ્યા પછી અલકનંદા અને સહાયક નદીઓનો પ્રવાહ શાંત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે, સાંજના સમયે અલકનંદા નદીના પ્રવાહમાં ઘટાડો આવ્યો છે. નંદપ્રયાગથી આગળ નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે.

હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના પછી આગામી બે દિવસમાં આ વિસ્તારમાં વરસાદની સંભાવના નથી તેમજ વાતાવરણ સામાન્ય રહી શકે છે. પર્વતીય વિસ્તારમાં ઊંચાણવાળા સૃથળે અનેક લોકોએ આ દુર્ઘટનાનું વિકરાળ રૂપ જોયું હતું અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ દુર્ઘટના નજરે જોનારા લોકોએ બૂમો પાડીને નીચાણવાળા વિસ્તારમાં પાવર પ્રોજેક્ટમાં કામ કરતા લોકોને ચેતવણી આપી હતી, પરંતુ પૂરના પ્રવાહના અવાજમાં તેમનો અવાજ દબાઈ ગયો હતો. કેટલાક લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.


મંત્રી તરીકે હિમાલયમાં પાવર પ્રોજેક્ટ અંગે ચેતવણી આપી હતી

ગ્લેશિયર અકસ્માત માટે કેન્દ્ર જવાબદાર : ઉમા ભારતી

ઉત્તરાખંડમાં હિમાલયમાં જળ વિદ્યુત યોજનાઓ નહીં બનાવવા સોગંદનામુ આપ્યું હતું : પૂર્વ મંત્રી

ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાયેલી ગ્લેશિયર દુર્ઘટના પછી ભાજપનાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આ ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે પોતે મંત્રી હતા ત્યારે તેમના મંત્રાલયે હિમાલયમાં નદીઓ પર પાવર પ્રોજેક્ટના નિર્માણ અંગે ચેતવણી આપી હતી.

ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે તેમણે ગંગા અને તેની મુખ્ય સહાયક નદીઓ  પર બાંધ બનાવી પાવર પ્રોજેક્ટ ઊભા કરવાનો વિરોધ કર્યો હતો. ઉમા ભારત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ-1 સરકારમાં જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી હતા.

ચમોલીમાં ગ્લેશિયર દુર્ઘટના પછી ટ્વીટર પર શ્રેણીબદ્ધ ટ્વીટ કરતાં ઉમા ભારતીએ કહ્યું કે ગ્લેશિયર તૂટવાથી પાવર પ્રોજેક્ટ યોજનાઓને નુકસાન થયું છે અને ભયાનક આપત્તિ સર્જાઈ છે. હિમાલયના ઋષિગંગામાં થયેલી આ આપત્તિ ચિંતાનો વિષય હોવાની સાથે ચેતવણી પણ છે. આ પ્રકારની યોજનાઓ માટે કેન્દ્ર સરકારની મંજૂરી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

તેમણે લખ્યું કે, આ સંબંધમાં મેં મારા મંત્રાલય તરફથી ઉત્તરાખંડમાં હિમાલયમાં બાંધ બનાવવા અંગે જે સોગંદનામુ આપ્યું હતું તેમાં એવો જ આગ્રહ કર્યો હતો કે હિમાલય ખૂબ જ સંવેદનશીલ સૃથળ છે.

તેથી ગંગા અને તેની મુખ્ય સહાયક નદીઓ પર પાવર પ્રોજેક્ટ બનાવવા યોગ્ય નથી. તેમણે ઉમેર્યું કે પાવર પ્રોજેક્ટ નહીં બનાવીને પેદા થતી વીજ પૂરવઠાની અછત રાષ્ટ્રીય ગ્રીડમાંથી પૂરી કરી શકાતી હતી. તેઓ શનિવારે ઉત્તરકાશીમાં હતા અને હાલ હરિદ્વારમાં છે.

ઉમા ભારતીના નિવેદન પહેલાં કેટલાક વૈજ્ઞાાનિકોએ પણ હિમાલયના ક્ષેત્રમાં આ પ્રકારની જળ વિદ્યુત યોજનાઓ નહીં શરૂ કરવા સરકારને સલાહ આપી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર ટૂંક સમયમાં જ રાજ્યમાં અન્ય જળ વિદ્યુત યોજનાઓની સમિક્ષા કરશે તથા કેટલીક યોજનાઓને અટકાવશે.


રૈણી ગામે વિશ્વને પર્યાવરણ જાણવીનો સંદેશ આપ્યો હતો

ચમોલીમાં ચિપકો આંદોલનના રૈણી ગામ નજીક જ ગ્લેશિયર તૂટી પડયા

ચમોલી જિલ્લાના રૈણી ગામ નજીક ગ્લેશિયર તૂટી પડવાથી ભારે વિનાશ સર્જાયો છે. આ રૈણી ગામ પર્યાવરણના સંરક્ષણના સૌથી મોટા આંદોલનનું સાક્ષી બન્યું હતું. રૈણી ગામથી જ ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. ચમોલી જિલ્લાના જોશીમઠ બ્લોક મુખ્યાલયથી 26 કિ.મી. દૂર સિૃથત રૈણી ગામથી જ ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. 

રૈણી ગામની ગૌરા દેવીના નેતૃત્વમાં વૃક્ષોને બચાવવા માટે ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. ઉત્તરાખંડમાં 1973માં મોટાપાયે વૃક્ષોના નિકંદનને બચાવવા માટે ચિપકો આંદોલન શરૂ કરાયું હતું. આ આંદોલને સમગ્ર દુનિયામાં પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

ગૌરા દેવીના નેતૃત્વમાં મહિલાઓ અને લોકો વૃક્ષોને બચાવવા માટે તેને વળગી જતા હતા. ગાંધીવાદી કાર્યકર સુંદરલાલ બહુગુણાના દિશાનિર્દેશથી આ આંદોલન સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત થયું અને પર્યાવરણની જાળવણી માટે અનેક અહિંસક ચળવળો માટે પ્રેરક બળ બન્યું.

ઉત્તરાખંડની મોટી કુદરતી આપત્તિઓ

ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે સવારે ગ્લેશિયર તૂટવાની ઘટનાએ 2013માં કેદારનાથની આપદાની યાદો તાજી કરી દીધી હતી. આ સિવાય ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દાયકામાં ચમોલીની ગ્લેશિયર દુર્ઘટના સિવાય ચાર મોટી કુદરતી આપત્તિઓ સર્જાઈ હતી.

*  2013 કેદારનાથમાં પૂર : જૂન 2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં કુદરતે કોહરામ મચાવ્યો હતો. વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કેદારનાથમાં 5,700થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું મનાય છે. આ દુર્ઘટનામાં અનેક પૂલ અને માર્ગો તૂટી પડતાં ચારધામ યાત્રાસૃથળોમાંના કેદારનાથમાં 3 લાખથી વધુ લોકો ફસાઈ ગયા હતા.

*  1999 ચમોલીમાં ભૂકંપ : ચમોલી જિલ્લામાં 6.8ની તિવ્રતાના ભૂકંપમાં 100થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા. ભૂકંપના કારણે રૂદ્રપ્રયાગ જિલ્લામાં પણ ભારે અસર થઈ હતી. ભૂકંપ તથા ભૂસ્ખલનના કારણે નદીઓનો પ્રવાહ પણ બદલાઈ ગયો હતો.

*  1998 માલ્પા ભૂસ્ખલન : ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના માલ્પા ગામમાં ભૂસ્ખલનમાં 255થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં કૈલાસ માનસરોવર યાત્રાના 55 શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. ભૂસ્ખલનના કારણે શારદા નદીનો પ્રવાહ પણ આંશિક રીતે રોકાયો હતો.

*  1991 ઉત્તરકાશીમાં ભૂકંપ : અવિભાજિત ઉત્તર પ્રદેશના ઉત્તરકાશીમાં ઓક્ટોબર 1991માં 6.8ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 768 લોકોનાં મોત નીપજ્યાં હતા અને હજારો ઘરોનો નાશ થયો હતો.

અભ્યાસમાં 650 ગ્લેશિયર્સનું મૂલ્યાંકન કરાયું

હિમાલયમાં અનેક ગ્લેશિયર બમણી ઝડપથી પીગળી રહ્યા છે : અભ્યાસ

વર્ષ 2000થી હિમાલયના ગ્લેશિયર્સ પરથી પ્રત્યેક વર્ષે દોઢ ફૂટ બરફ પીગળી રહ્યો છે : જોશુઆ મૌરેર

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.7 

હિમાલયના પર્વતીય વિસ્તારોમાં તાપમાન વધવાના કારણે 21મી સદીની શરૂઆતથી જ ગ્લેશિયર્સ બમણી ઝડપથી પીગળી રહ્યા છે અને પ્રત્યેક વર્ષે દોઢ ફૂટ જેટલો બરફ પીગળવાના કારણે દેશમાં નદી કિનારાઓ પર વસતા લાખો લોકોને પીવાના પાણીનો પુરવઠો જોખમાય તેવી સંભાવના છે તેમ વર્ષ 2019ના એક અભ્યાસ પરથી જણાયું છે. 

ભારત, ચીન, નેપાળ અને ભૂતાનના 40 વર્ષના સેટેલાઈટ નિરિક્ષણો પરના એક સંશોધનમાં સંકેત અપાયા હતા કે ક્લાઈમેટ ચેન્જના કારણે હિમાલયના હિમશીખરોને પીગાળી રહ્યા છે તેમ સંશોધકોએ જણાવ્યું હતું.

જૂન 2019માં સાયન્સ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું હતું કે, વર્ષ 2000થી પ્રત્યેક વર્ષે હિમાલયના ગ્લેશિયર્સ પરથી દોઢ ફૂટ બરફ પીગળી રહ્યો છે અને આ બરફ પીગળવાની ઝડપ 1975થી 2000 કરતાં બમણી છે.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના ડૉક્ટરેટના ઉમેદવાર જોશુઆ મૌરેરે જણાવ્યું હતું કે, આ બાબત નિયમિત સમયાંતરે હિમાલયના ગ્લેશિયર્સના પીગળવાનું સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે. આ અભ્યાસમાં પ્રદેશના અગાઉના સેટેલાઈટ નિરિક્ષણોથી લઇને અત્યારની સિૃથતિના આંકડાઓની સમિક્ષા કરવામાં આવી છે.

અભ્યાસ મુજબ આ વિસ્તારમાં તાપમાન 1975થી 2000ની સરખામણીમાં 2000થી 2016માં સરેરાશ એક ડિગ્રી જેટલું વધ્યું છે. સંશોધકોએ હિમાલયના પર્વતોમાં પશ્ચિમથી પૂર્વ તરફ અંદાજે 2,000 કિ.મી. વિસ્તારમાં પથરાયેલા 650 જેટલા ગ્લેશિયર્સની સેટેલાઈટ તસવીરોનું મૂલ્યાન કર્યું છે.

સંશોધકોને જણાયું હતું કે, 1975થી 2000 વચ્ચે ગ્લેશિયર્સમાં પ્રત્યેક વર્ષે બરફ ગુમાવવાની ગતિ 0.25 મીટર હતી. જોકે, 1990ના દાયકામાં તાપમાન વધવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો અને 2000ની શરૂઆત થતાં અહીં વાર્ષિક અડધો મીટર જેટલો બરફ પીગળવા લાગ્યો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, એશિયન રાષ્ટ્રોમાં પ્રદૂષણના કારણે તાપમાનમાં વધારો થતાં હિમાલયનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે.

વૈજ્ઞાાનિકોની ચેતવણી સામે તંત્રની બેદરકારી

ગ્લેશિયર આપત્તિ : વૈજ્ઞાનિકોએ આઠ મહિના પહેલાં જ ચેતવણી આપી હતી

અભ્યાસમાં આ વિસ્તારમાં લેક આઉટબર્સ્ટની 146 ઘટનાની માહિતી મેળવી આકલન કરાયું હતું

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. જોકે, દેશના ભૂ-વૈજ્ઞાાનિકોએ લગભગ આઠ મહિના પહેલાં આવી કોઈ આપત્તિ અંગે તંત્રને ચેતવણી આપી હતી. દહેરાદૂન સિૃથત વાડિયા ભૂ-વૈજ્ઞાાનિકોએ ગયા વર્ષે જૂન-જુલાઈમાં એક અભ્યાસ મારફત જમ્મુ-કાશ્મીરના કારાકોરમ સહિત સંપૂર્ણ હિમાલયના ક્ષેત્રમાં ગ્લેશિયરો દ્વારા નદીઓનો પ્રવાહ રોકવા અને તેનાથી સર્જાતા જોખમો અંગે ચેતવણી આપી હતી. 

વર્ષ 2019માં આ ક્ષેત્રમાં ગ્લેશિયરમાંથી નદીઓનો પ્રવાહ રોકવા સંબંધી સંશોધન આઈસ ડેમ, આઉટબસ્ટ ફ્લડ એન્ડ મુવમેન્ટ હેસ્ટ્રોજેનિટી ઓફ ગ્લેશિયરમાં સેટેલાઈટ ઈમેજ, ડિજિટલ મોડેલ, બ્રિટિશ સમયના દસ્તાવેજો, પ્રાદેશિક અભ્યાસની મદદથી વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ દરમિયાન આ વિસ્તારમાં લેક આઉટબર્સ્ટની 146 ઘટનાઓની માહિતી મેળવી તેનું આકલન કરાયું હતું.

વધુમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)વાળા કારાકોરમ ક્ષેત્રમાં કેટલાક ગ્લેશિયરમાં બરફનું પ્રમાણ વધી રહ્યું છે. આ કારણે આ ગ્લેશિયર વિશેષ સમયાંતરે આગળ વધીને નદીઓનો માર્ગ રોકી રહ્યા છે. આ પ્રક્રિયામાં ગ્લેશિયરના ઉપરના ભાગનો બરફ ઝડપથી ગ્લેશિયરના નીચેના ભાગ તરફ આવે છે.

ભારતની શ્યોક નદીની ઉપરના કુમદન સમૂહના ગ્લેશિયર્સમાં ખાસ કરીને ચોંગ કુમદને 1920 દરમિયાન અનેક વખત નદીનો રસ્તો રોક્યો. તેનાથી તે સમયે સરોવરો તૂટવાની અનેક ઘટનાઓ ઘટી હતી. 2020માં ક્યાગર, ખુરદોપીન અને સિસપર ગ્લેશિયરે કારાકોરમની નદીઓનો માર્ગ રોકીને સરોવર બનાવ્યા છે. આ સરોવરો એકાએક ફાટવાથી પીઓકે સહિત ભારતના કાશ્મીરવાળા ભાગમાં ભારે વિનાશ સર્જાયો હતો.

Share: