આવતીકાલથી રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટ શરુ કરાશે, RT-PCR ટેસ્ટનો વ્યાપ વધારવા નિર્ણય

આવતીકાલથી રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટ શરુ કરાશે, RT-PCR ટેસ્ટનો વ્યાપ વધારવા નિર્ણય

અમદાવાદ, તા. 18 એપ્રિલ 2021, રવિવાર

દિન પ્રતિદિન ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. સ્થિતિ દિવસે ને દિવસે વધારે કફોડી થતી જાય છે. કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને RT-PCR ટેસ્ટ વધારવાની સલાહ આપી છે. ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને દરેક જિલ્લામાં અને શહેરોમાં RT-PCR ટેસ્ટની સુવિધા ઉભી કરવાની ટકોર કરી છે. ત્યારે RT-PCR ટેસ્ટને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીઘો છે.

રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવશે. જો કે સામાન્ય લોકો સીધા જ આ સંસ્થાઓમાં જઇને ટેસ્ટ નહીં કરાવી શકે. તેના બદલે સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ શૈક્ષણિક સંસ્થાનોમાં પરીક્ષણ કરાશે. રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જે શૈક્ષણિક સંસ્થાઓની અંદર માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ છે, ત્યાં RT-PCR ટેસ્ટ શરૂ કરાવામાં આવશે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, ’26 શૈક્ષણિક સંસ્થાનોમાં આવતી કાલથી જ RT-PCR ટેસ્ટ શરૂ કરાશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટી તંત્રને મોટી મદદ મળશે.

સરકારના આ નિર્ણયથી લોકોને ઘણો ફાયદો થશે. ઉપરાંત કોરોના સામેની લડાઇમાં પણ આ નિર્ણય મદદ કરશે. કારણ કે વર્તમાન સમયે RT-PCR  ટેસ્ટ માટે લાંબી લાઇનો લાગે છે એન રિપોર્ટ પણ 24 કલાક બાદ મળે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. 

જે-તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આ લેબોરેટરીઓને મોકલી આપશે. અહીં એવી સ્પષ્ટતા પણ કરાઇ છે કે દર્દીઓ સીધાં જ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટે નહીં જઈ શકે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર સેમ્પલ કલેક્ટ કરીને આ લેબોરેટરીઓ મારફતે RTPCR ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે.

Share: