અમદાવાદમાં કોરોના બેકાબૂ થતાં બગીચા, પ્રાણી સંગ્રહાલય આવતીકાલથી અચોક્કસ મુદ્દત માટે બંધ

અમદાવાદમાં કોરોના બેકાબૂ થતાં બગીચા, પ્રાણી સંગ્રહાલય આવતીકાલથી અચોક્કસ મુદ્દત માટે બંધ

અમદાવાદ, તા. 17 માર્ચ 2021, બુધવાર

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યુ છે. રાજ્ય સરકારે અમદાવાદ સહિત ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની સમય મર્યાદામાં બે કલાકનો વધારો કર્યો છે. ત્યારે હવે રાત્રિ કર્ફયુમાં વધારા તવાની સાથે સાથે સખ્ત નિર્ણય પણ લાગું કરવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય અઢાર તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કોર્પોરેશન દ્વારા કરાવવાનો તંત્રે નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે. મંગળવારે નવા 241 કોરોનાના કેસ નોંધાયા છે. ઉપરાંત બે સંક્રમિત દર્દીઓના મોત થયા છે. શહેરમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં કોરોનાના કુલ 446 કેસ નોંધાયા છે. ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 60,992 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. હાલમાં શહેરમાં કોરોનાના કુલ 587 એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

છેલ્લાં પંદરેક દિવસથી અમદાવાદમાં જ નહી, સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર વધારો નોંધાયો છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો 954 સુધી પહોંચ્યો હતો. અમદાવાદ અને સુરત શહેરમાં તો કોરોનાના કેસોનો આંક 200 પહોંચવાને આરે છે.

જોકે, પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં કોરોનાના નિયમોને કોરાણે મૂકાયા હતાં. રાજકીય નેતાઓ-કાર્યકરો બિન્દાસ બનીને પ્રચારમાં મશગૂલ બન્યા હતાં. આ જ પ્રમાણે, અમદાવાદ શહેરમાં દાંડીયાત્રાનુય આયોજન કરાયુ હતુ. અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-ટવેન્ટી મેચ રમાઇ રહી છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 65 હજાર દર્શકોએ મેચનો આનંદ માણ્યો હતો તે વખતે ય કોરોનાના નિયમોનો છડેચોક ભંગ કરાયો હતો. આ પરિસ્થિતી બાદ જયારે કોરોનાના કેસો વધ્યા હતાં અને સ્થિતી કાબુ બહાર બને તેવી સ્થિતી સર્જાય તેવી ભિતીને પગલે ગુજરાત ક્રિકેટ એસોસિએશને દર્શકો વિના મેચ રમાડવા નિર્ણય કર્યો હતો.

Share: